કારતક વદ ઉત્પતિ એકાદશી 2022 🙏 શુભ મુહૂર્ત, વ્રત વિધિ, વાંચો વ્રતની પવિત્ર કથા | Utpatti ekadashi 2022

ઉત્પતિ એકાદશી ( કારતક વદ 11 ) 



            એકાદશી એટલે ભગવાન શ્રીવિષ્ણુ નેપ્રસન્ન કરવાનો સરળ ઉપાય. જે કોઈ આ દિવસે વ્રત ઉપવાસ અને શ્રદ્ધા પૂર્વક પૂજા આરતી કરે છે તેના પર ભગવાનની અસીમ કૃપા થાય છે અને ભગવાનના આશીર્વાદ મળે છે. દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને તેનું વિશેષ ફળ મળે છે. 

શ્રી વિષ્ણુ ચાલીસા લખાણ સાથે

અગિયારસના ભજન સાંભળો

            તેમાંથી આપણે આજે કારતક મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે ઉત્પતિ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, પૂજા મુહૂર્ત અને પારણા મુહૂર્ત શું છે દરેક વિષે સંપૂર્ણ માહિતી જાણીશું. 

            2022 માં કારતક મહિનાની વદ પક્ષની એકાદશી તિથી શરૂઆત 19 નવેમ્બર 2022, શનિવાર સવારે 10:29 કલાકે શરૂ થાય છે. કે જે પૂર્ણ 20 નવેમ્બર 2022, રવિવાર સવારે 10:41 કલાકે થાય છે. એકાદશી વ્રત ઉદયા તિથી પ્રમાણે કરવાનું હોય તેથી આ વર્ષે ઉત્પતિ એકાદશીનું વ્રત 20 નવેમ્બર 2022, રવિવારે કરવાનું રહેશે. 

ઉત્પતિ એકાદશી વ્રતકથા

વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ

પૂજાવિધિ મુહૂર્ત :- 20 નવેમ્બર 2022 સવારે 8:07 થી બપોર 12:07 

            આ એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ,અમૃત સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ, આયુષમાન યોગ અને ત્રિપુષ્કર યોગ બની રહ્યા છે એટલે આ એકાદશી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. 

પારણા મુહૂર્ત :- 21 નવેમ્બર 2022, સોમવારે સવારે 6:48 થી 8:56 


વ્રતની વિધિ :

આ વ્રતના દિવસે વ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે જેવી વૃત્તિઓનો ત્યાગ કરવો.એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઊઠી સ્નાન-વિધિ કરી સુર્ય દેવને અર્ધ્ય આપી પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવી.  ત્યારબાદ આપ જ્યાં પૂજા કરવાના હોય તે સ્થાન સ્વચ્છ કરવું અને પછી ભગવાન વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણની મૂર્તિ, પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. સાથે સાથે લક્ષ્મી દેવીની પણ પૂજા કરવી.

૨૦૨૩ એકાદશી ક્યારે કઈ તારીખે આવે છે ? જાણો

ભક્તોએ પૂજા-અર્ચના કરવી જોઈએ અને પૂજન કરીને દેવતાઓની પૂજા કરવી જોઈએ અને ભગવાન કૃષ્ણના કિર્તન ભજન અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.

પ્રસાદ (પવિત્ર ભોજન), તુલસી જળ, ફલ, નારિયળ, અગરબત્તી અને ફૂલ દેવતાઓને અર્પણ કરવું જોઈએ અને મંત્રોનો જાપ કરવો જોઈએ. રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન-પૂજન કરવું અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવાં.બીજા  દિવસે શુભ મહૂર્તમાં વ્રતના પારણા કરવાના. 

શ્રી સત્યનારાયણ ની કથા

ઉત્પતિ એકાદશી વ્રતકથા :

        પૌરાણિક કથા પ્રમાણે સતયુગમાં મૂર નામનો એક દૈત્ય હતો. કે જેણે ઇન્‍દ્રને પણ જીતી લીધો હતો અને સ્વર્ગ પર વિજય મેળવ્યો હતો. તે અસૂરે દરેક દેવોને સ્‍વર્ગમાંથી કાઢી મૂક્યા હતા અને પોતે રાજ કરવા લાગ્યો. હાર પામેલા બધા દેવો એક દિવસ મહાદેવજી પાસે ગયા ત્‍યાં ઇન્‍દ્રે ભગવાન શિવ સમક્ષ બધી વાત કહી સંભળાવી. ઇન્‍દ્ર બોલ્‍યા, “ હે મહાદેવ ! આ દેવો સ્‍વર્ગલોકથી ભ્રષ્‍ટ થઇને પૃથ્‍વી પર ફરી રહ્યાં છે. અમારું સ્વર્ગલોક છીનવાઇ ગયું છે. હે દેવ ! કોઇ ઉપાય બતાવો. 

        મહાદેવએ કહ્યું : “હે દેવરાજ! જયાં બધાને શરણ આપનારા,સૌનું રક્ષણ કરનારા, જગતના સ્‍વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બિરાજમાન છે, ત્‍યા જાઓ. તેઓ તમારા સૌનું કલ્‍યાણ કરશે. મહાદેવજીની વાત સાંભળીને  દેવરાજ ઇન્‍દ્ર સાથે બધા દેવો સાથે ત્‍યાં ગયા. પ્રભુ તો ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્‍દ્રે હાથ જોડીને એમની સ્‍તુતિનો પ્રારંભ કર્યો, હે કમલનયન ! આપને નમસ્‍કાર છે. દેવ આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ હર્તા ! આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ પિતા છો. હે ભગવાન! હે દેવેશ્વર ! શરણાગત વત્‍સલ દેવો ભયભીત થઇને આપના ચરણે  આવ્‍યા છે.

નારાયણ ક્વચનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે સાંભળો 

         હે પ્રભુ ! મહાબલી દૈત્ય મુર રાક્ષસએ બધા દેવોને જીતીને એમને સ્‍વર્ગમાંથી કાઢી મુકયા છે. હે  પુંડરીકાક્ષ ! આપ  દૈત્‍યોના શત્રુ છો. હે મધુસુદન ! અમારૂ રક્ષણ કરો. હે જગન્‍નાથ સ્વામી ! બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઇને આપના શરણમાં આવ્‍યા છે. હે ભકતવત્‍સલ ! અમારી રક્ષા કરો. દાનવોનો વિનાશ કરનારા ભગવાન ! અમારી રક્ષા કરો.

        પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંઘ નામનો એક મહાન અસુર ઉત્‍પન્‍ન થયેલો હતો.એનો પુત્ર મૂર દાનવના નામથી પ્રસિદ્ધ થયો છે. એ પણ મહા પરાક્રમી છે. સ્વર્ગમાં ચંદ્રાવતી નામે એક વિખ્યાત અને સુંદર નગરી છે. એમા જ સ્‍થાન બનાવીને એ દૈત્ય નિવાસ કરે છે. એણે એક બીજા જ ઇન્‍દ્રને સ્‍વર્ગનાં સિંહાસન પર બેસાડયા છે. અગ્નિ, ચંદ્રમાં, સુર્ય, વાયુ અને વરુણ એમ દરેક દેવોની જગ્યાએ પણ એણે બીજાને બનાવ્‍યા છે અને દેવતાઓને તો એણે પ્રત્‍યેક સ્‍થાનથી વંચીત કરી દીધા છે. હે જનાર્દન હું સત્ય વાત કહી રહ્યો છું. 

શ્રી કૃષ્ણ શરણં મમ જપમાળા ( 108 મણકા )

        ઇન્‍દ્રની વાત સાંભળીને ભગવાનને ખૂબ જ ક્રોધ આવ્‍યો. તેથી તેઓ દેવતાને સાથે લઇને ચંદ્રાવતી પુરીમાં ગયા. ત્યાં એમણે જોયુ કે દૈત્‍યરાજ ગર્જના કરી રહ્યો છે અને ખડખડાટ હસી રહ્યો છે. ભગવાન નેત્રો ક્રોધથી હવે લાલ થઇ ગયા. તેઓ બોલ્‍યાઃ “અરે દુરાચારી દાનવ ! મારી આ ભુજાઓને જો.” આમ કહીને શ્રી વિષ્‍ણુએ પોતાના દિવ્‍ય સહસ્ત્ર બાણોથી સામે આવેલા દુષ્‍ટ દાનવોને મારવાનું શરુ કર્યું. ત્‍યાર પછી શ્રી વિષ્‍ણુએ દૈત્‍ય સેના પર સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્‍ન ભિન્‍ન થલને અનેક યોધ્‍ધાઓ મૃત્યુ પામ્યા.પછી પ-રભુને થાક લગતા તેઓ બદ્રીકાશ્રમ ચાલ્‍યા ગયા કે જય એક સિંહાવતી નામની ગુફા હતી. એ બાર યોજન લાંબી હતી.

        ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્‍ણુ એમાં જ સૂઇ ગયા. મુર દૈત્ય પણ તેની પાછળ આવ્યો અને તેને પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્‍યાં ભગવાન સૂતેલા જોઇને એ આનંદિત થયો. એણે વિચાર્યું, “આ દેવ દાનવોના કાળ છે, આથી વહેલી તકે એમને મારી નાખવા જોઇએ.”  દાનવ આમ વિચારતો જ હતો ત્‍યાં જ ભગવાન વિષ્‍ણુના શરીરમાંથી એક સ્ત્રી પ્રગટ થઇ. એ ખૂબ જ રુપવતી  તથા દિવ્‍ય અસ્‍ત્ર-શસ્‍ત્રથી યુકત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્‍પન્‍ન થઇ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું.  દૈત્ય રાજ મૂરે એ સ્ત્રીને જોઇ, સ્ત્રીએ યુધ્‍ધનો વિચાર કરીને દાનવને યુધ્‍ધ માટે પડકારીને યુધ્‍ધ છેડયું. સ્ત્રી બધા પ્રકારની યુધ્‍ધકળામાં હોંશિયાર હતી. એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઇ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઊઠયા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઇને પૂછયું. “મારો આ શત્રુ અત્‍યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે ?” ત્યારે તેમણે તે સ્ત્રીને જોઈ અને પ્રભુ તેમના પર પ્રસન્ન થયા કે તેમણે ખૂબ જ શક્તિશાળી અને મહાબળવાન દૈત્યરાજને થોડી જ ક્ષણોમાં ભોંય ભેગો કરી દીધો.

શ્રીમદ ભાગવતનો પાઠ ગુજરાતીમાં લખાણ સાથે સાંભળો

        એટલે ભગવાને તે સ્ત્રીને કહ્યું કે, "તમારા આ કાર્યથી ત્રણે લોકના મુનિઓ, અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે ઋચિ હોય, એ પ્રમાણે વરદાન માંગો. દેવદુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ !" એ સ્ત્રી સાક્ષાત એકાદશી જ હતી. એણે કહ્યું : “પ્રભુ! જો આપ પ્રસન્‍ન છો, તો હું આપની કૃપાથી, બધા તીર્થોમાં મુખ્‍ય, સમસ્ત વિઘ્નનો નાશ કરનારી, તથા બધા પ્રકારની સિધ્‍ધી આપનારી દેવી થાઉ, હે જગન્નાથ ! જે લોકો આપમાં ભકિત રાખીને મારા દિવસે ઉપવાસ કરશે, એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્‍ત થાય. હે માધવ ! જે લોકો ઉપવાસ, એકટાણું અથવા ફકત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે, એમને આપ ધન, કર્મ અને મોક્ષ પ્રદાન કરો.” અને પ્રભુએ આ રીતે તે દેવીને વરદાન આપ્યું અને તે આજે આપણે ઉત્પતિ એકાદશી તરીકે ઓળખીએ છીએ અને વ્રત ઉપવાસ કરી છીએ. 

આપ સર્વે ભક્તોને અમારા ભક્તિ કિર્તન સંગ્રહ ગ્રુપ તરફથી " જય શ્રી કૃષ્ણ " 🙏

અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આપના મિત્રોને મોકલજો અને આ પોસ્ટને Like કરજો. 🙏😊

Post a Comment

0 Comments