શ્રી સત્યનારાયણ ની કથા | Satyanarayan katha gujarati pdf

 શ્રી સત્યનારાયણ ની કથા



અધ્યાય ૧

II વ્યાસ ઉવાચII

        અયોધ્યા પાસેના નૈમિષારણ્યમાં એટલે કે નૈમિષ નામના એક જંગલમાં એક સમsયે સૌનક વગેરે ઋષિઓ મળ્યા હતા, તે ઋષિઓને જાણ હતી કે ભવિષ્યમાં કલિયુગ આવાનો છે, દરેક જીવ દુખ,કષ્ટથી પીડાતો હશે, તો તેમાંથી છુટકારો કેવી રીતે મેળવવો તે જાણવા તે બધા ઋષિઓએ સૂત નામના પૂરાણીને, પ્રશ્ન પૂછ્યો


II ઋષિ ઉવાચII

        હે મહામુનિ ક્યુ વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે તે સાંભળવા અમે ઈચ્છા રાખીએ છીએ માટે તે તમે અમને કહો.


સૂત બોલ્યા

નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. ભગવાને નારદજીને કહ્યું હતું તે તમે હવે સાવધાન બનીને સાંભળો. નારદજી તો બધે લોકમાં ફરતા હોય ક્યારે વિષ્ણુ લોક, ક્યારેક પાતાળ લોક તો ક્યારેક સ્વર્ગ લોક. તો એક વખત યોગી નાદરજી આ રીતે વિવિધલોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યાં. એટલે કે આપણાં પૃથ્વી લોક પર આવી પહોંચ્યા. જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુ:ખી થતા અને અનેક દુ:ખોમાંથી યુક્ત બધા લોકોને તેમણે જોયા.આ સર્વ લોકોના દુ:ખોનો ચોક્કસ નાશ ક્યા ઉપાયે થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુલોકમાં ગયા. તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જેમના શરીરનો રંગ સફેદ છે. શંખ, ચક્ર, ગદા, કમળ અને વનમાળાઓથી જે શોભે છે અને ચાર હાથ વાળા છે.એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમને સ્તુતિ કરવા લાગ્યા.


નારદ બોલ્યા

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આપનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો.જેમને આદિ, મધ્યા કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાને આદિ છે અને ભક્તોના દુ:ખોનો નાશ કરે છે તેવા આપને નમસ્કાર છે.


ભગવાન બોલ્યા

હે નારદજી ! તમે શા માટે અહી આવ્યા છો, કોઈ કારણ જરૂર હશે, તે બધું મને જણાવો એટલે એ સંબંધી હું તમને કહું.


નારદ ઉવાચ

હે પ્રભુ ! હું ફરતા ફરતા મનુષ્યલોકમાં પહોંચ્યો હતો અને ત્યાં દરેક લોકો પોતાના કર્મોના દુખથી પીડાતા હતા, ચિંતા શોક, દુખમાં ડૂબેલા હતા. તો પ્રભુ મને તે લોકો પ્રત્યે કરુણતા જાગી તેથી આપની પાસે આવ્યો છું કે તે લોકો એવું શું કરે કે ઓછા સમયમાં તેમના દુખ દૂર થાય, કષ્ટ દૂર થાય અને સુખ સમૃદ્ધિ મેળવી શકે. મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું.


ભગવાન બોલ્યા:

તમે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે, મને આ જ અપેક્ષા હતી. આપ હંમેશા બીજા લોકોનું હિત ઈચ્છો છો અને એટલે જ આપ મારા પ્રિય છો. તો સાંભળો. હું આપને એવું વ્રત જણાવું છું કે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા માંથી મુક્ત થાય છે અને સ્વર્ગના દેવી-દેવતાઓ માટે પણ દુર્લભ છે, કે જે સત્યનારાયણ ભગવાનનું પરંપવિત્ર  વ્રત છે, સત્યનારાયણ એ મારુ જ એક સ્વરૂપ છે.  તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે.


વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદમુનિ બોલ્યા

સત્યનારાયણ ભગવાનના એ વ્રતનું ફળ શુ છે? એની કઈ વિધિ છે? એ વ્રત કોણ કર્યું હતું.


ભગવાન બોલ્યા:

આ સત્યનારાયણનું વ્રત દુ:ખ શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે.આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આવવા વાળું છે, તેમજ પુરૂષોને વિજય આપવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું.ભક્તિથી નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો, તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર, ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાયી ધરાવવી.લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું.સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃ્ત્ય, ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાને ગૃહે જવું.સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કરવાથી માણસોની ઈચ્છા મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કલિયુગમાં આજ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે.


આ પ્રમાણે શ્રી સ્કંધ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થયો.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.




અધ્યાય બીજો

ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા


સૂત બોલ્યા:

હવે બીજું એક કહું છું કે પહેલા આ વ્રત જેણે કર્યું હતું તે તમને કહું છું. સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો. તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને એને જોયો.ભગવાને રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું દુ:ખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે ?


ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માગવા સારુ પૃથ્વી ઉપર ફરું છું. મારુ દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો. આવું દરિદ્ર બ્રાહ્મણનું ભાષણ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુભગવાન, ઈચ્છિત પુરૂષાર્થ રૂપ ફળ આપનાર છે. આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે.


શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ ! તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુ:ખથી મુક્ત બને છે. બ્રાહ્મણને તે વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન પોતે અદ્રશ્ય થઈ ગયા.વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું, ‘‘ તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં’’ સવારે ઊઠી ‘હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો.


તેજ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય મળ્યું, એટલે તે દ્રવ્યથી તેણે સગાવહાલા, મિત્રો સાથેા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું.આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડાં જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુ:ખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય આપવાવાળું સામર્થ્ય આ સત્યનારાયણ વ્રતમાં છે.


આવુ જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પુનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો. એના પૂણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને અત્યંત દૂર્લભ મોક્ષ પદ પામ્યો. સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા પુજન જે વખતે માણસ પૃથ્વી ઉપર કરશે તે જ વખતે સર્વ દુ:ખોમાંથી મુક્ત બનશે.


શ્રી નારાયણે મહાત્મા નારદજીને જે વ્રત કહ્યું હતું તે જ તમને કહ્યું છે હવે બીજું તમને શું કહું ?

ઋષિઓએ કહ્યું:

હે મુનિ એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણદેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છિએ છીએ. અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે.


સૂત બોલ્યા:

હે મુનિઓ પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે આપને કહું છું જે તમે સાવધાન થઈ સાંભળો. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગાકુટુંબીજનો  સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો.તે માથા પર લાકડાનો ભારો દરવાજા બહાર મુકી શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિતથી તેણે બ્રાહ્મણે કરેલી પુજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી.


તે બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો. હે બ્રાહ્મણ, શ્રેષ્ઠ! આપ શાનું વ્રત કરો છો? અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહોને ! બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવાવાળું છે. અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધનધાન્ય વગેરે મળ્યું છે.બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ, પાણી પીધું અને પછી તે શહેર તરફ ગયો.


તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા શહેરમાં વેચતાં આજે મને ધન મળશે. આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ, એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો.આ સુંદર નગરમાં જ્યાં શેઠ શાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેની લાકડાની બમણી કીંમત આપી ને ભારો લીધો.


ભારાવાળાને બમણી કીંમત મળતા તેનું હ્રદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળાં, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી.બધી સામગ્રી ખરીદીને તે પોતાને ઘેર ગયો અને પછી સગાવહાલાંને બોલાવી, વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું.આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં ગયો.


આ પ્રમાણે સ્કંધપૂરાણેને રેવાખંડનો સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સમાપ્ત થયો.




અધ્યાય ત્રીજો

સાધુ વાણિયાની કથા


સૂતજી બોલ્યા:

હે ઋષિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઈતિહાસ કહું છું જે તમે સાંભળો, ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતો.આ રાજા જિતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમતાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો હતો.આ ઉલ્કામુખ રાજાની સ્ત્રી કમળ જેવા મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુગ્ધા નામે પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો.


એવામાં એક સાધુ નામે વાણિયો ત્યાં આવ્યો. તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા.નદીના કિનારે વહાણને રાખી સાધુ વાણિયો રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું.સાધુ વાણિયાએ કહ્યું હે રાજા ! તમે ભક્તિ સાથે એક ચિતથી આ શું કરો છો? તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું માટે તે મને જણાવો.


રાજાએ કહ્યું :

હે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી એવા ભગવાન વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદિ મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું.રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે બોલ્યો. ‘હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા કહ્યા પ્રમાણે કરીશ’.કારણ કે મારે સંતાન નથી તો આ વ્રતથી મને સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણિયો વેપાર અર્થે દેશાંતર જવુ છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો.


વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ.આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું જ્યારે આપણને સંતતિ થશે ત્યારે  આ વ્રત હું કરીશ.ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ.દશમે માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો. તે અજવાળીયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી.


કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન કહ્યું.હે સ્વામી ! તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પુરો કરતા નથી ?સાધુ વાણિયાએ કહ્યું. હે પ્રિયે ! કન્યાના વિવાહ સમયે એ વ્રત હું પણ કરીશ.આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણિયો નગરમાં ગયો ત્યાર બાદ કલાવતી કન્યા પિતાને ઘેર મોટી થઈ. તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયાએ તુર્ત જ દૂતને બોલાવ્યો.


દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવ, એમ એણે આજ્ઞા કરી ત્યારે દૂત કાંચન નામના નગરમાં ગયો.આ નગરમાં એક વાણિયાના પૂત્રને લઈ, તે દૂત પાછો આવ્યો, ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને,તે સાધુ વાણિયાએ પોતાના સગાસંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું.


કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાયે કરીને તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનુ ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા.આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહારગામ ગયો.સિંધુ નદીની પાસે રત્નાસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો.


જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. પછી સત્યનારાયણ ભગવાને તેને,સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો :‘‘ આની ઉપરક અત્યંત ભયંકર, મહાકઠોર દુ:ખ આવી પડશે એવો શ્રાપ આપ્યો.એક દિવસે રાજાનું ધન લુંટી લઈ એક ચોર નાસી જતો હતો તે પેલા બે વાણિયા ત્યાં જ આવી પહોંચ્યો.


ચોરને પકડવા રાજાના સિપાઈઓ તેની પાછળ દોડી આવ્યા તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો.એટલામાં જ્યાં એ સજ્જન વાણિયો રહ્યો હતો, ત્યાં એ રાજના સિપાઈઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈ તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા.રાજાના સિપાઈઓ એ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું ‘‘ હે મહારાજ ! બે ચોરોને પકડી લાવ્યા છીએ, તેઓને જોઈને આપ આજ્ઞા આપો. ’’


રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા.શ્રી સત્યાનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહિ, ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું.બીજી તરફ શ્રી સત્યાનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘેર તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુ:ખી થઈ ગઈ. ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું જ ચોરી ગયા હતાં.


મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેરઘેર ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ઘણી નાની હતી, તે પણ દરરોજ ઘેરઘેર ભટકવા લાગી.એક દિવસે તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ, ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું.


વ્રત તથા પુજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી, સત્યાનારાયણ ભગવાનની કથા સાંભળી, અને ભગવાનને પ્રાર્થના કરી’’ મારું દુ:ખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે’’ એવો આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા મોડી રાત્રે ઘેર પાછી ફરી.માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું : હે પુત્રી તું ક્યાં ગઈ હતી ? તારા મનમાં શું વિચાર છે.’’


લાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું : ‘‘ માતા ! બ્રાહ્મણને ઘેર ઈચ્છા પુરી કરવાવાળુ વ્રત તથા પુજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી.પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી, સાધુ વાણિયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને માટે તૈયાર થઈ.પતિવ્રતા સ્ત્રિેએ પોતાના સગાસંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે, ભગવાન મારા પતિ તથા જમાઈ જલદી પોતાને ઘેર આવે.’’


પુજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હરઘડી એવી પ્રાર્થના કરતી હતી કે, હે ભગવાન મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો.’’ વ્રત તથા પુજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ મામ્યા.વ્રતથી સંતોષ માનીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે રાજા તે કેદ કરેલા બંને વાણિયાઓને સવારમાં તું છોડી દેજે.


તેમનું જે ધન તેં લઈ લીધું છે તે બધું જ તું પાછું આપી દેજે. જો તું એમ નહી કરે તો તારા રાજ્ય ધન તથા પુત્રોની સાથે તારો હું નાશ કરીશ.રાજાએ એમ કહીને સત્યનારાયણ ભગવાન સ્વપ્નમાં અદ્રશ્ય થયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી સ્વપ્નની વાત કરી.અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મુકો.


રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મુકી રાજાની પાસે લાવ્યા.પહેલા બની ગયેલા વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કાંઈ બોલી શક્યા નહિ. વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત આ વચન કહ્યું.આ બંને વાણિયાઓને આજ સુધી દૈવયોગે આ મોટુ દુ:ખ પ્રાપ્ત થયું હતું પણ હવે કોઈ જ ભય નથી. રાજાએ તેમની બેડીઓ છોડી નખાવી અને હજામત કરાવી નખાવી.


સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા.તેમનું જે ધન લીધું હતું તે પણ બમણું કરી પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું, હે સજ્જનો ! તમો તમારે ગામ જાઓ.રાજાએ બંને વાણિયાઓએ નમસ્કાર કરી કહ્યું ‘‘ આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું’’


આ પ્રમાણે સ્કંધપુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનના વ્રતની કથાનો ત્રીજો અધ્યાય પુરો થયો.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.  




અધ્યાય ૪

સાધુ વાણિયાની કથા ચાલુ


સૂતજી કહે છે કે

સાધુ વાણિયાએ મંગળ યુક્ત યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યા.ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાનને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ.સત્યનારાયણ ભગવાને સાધુ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યુ હતું ત્યાં આવી એ બેઉ જણાને પૂછ્યું ’’ તમારા વહાણમાં શું છે ? એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા હે સંન્યાસી બાવા આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું ?


અમારી નાવમાં તો વેલા તથા પાંદડાં જ ભરેલા છે એવી મશ્કરી ભરેલુ કઠોર વચન સાંભળી સાધુબાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું‘‘ તારુ વચન સત્ય હોજો’’આ પ્રમાણે વચન કહીને સાધુબાવારૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેની પાસેથી દૂર જઈને નદીના કિનારે ઉભા રહ્યા.સાધુબાવો ગયો એવું જાણીને વાણિયો પોતાની નિત્ય ક્રિયાથી પરવારીને પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો.


વહાણમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને ભાન આવ્યું અને ખૂબ જ ચિંતા કરવા લાગ્યો.તે જ વખતે તેના જમાઈએ કહ્યું, તમે શા માટે શોક કરો છો ? પેલા સાધુ બાવાએ જ શ્રાપ આવ્યો હતો.એના બોલવા પ્રમાણે થયું છે, તે બધુ જ કરી શકે છે તેમાં સંશય નથી, માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણુ ધારેલું કામ પાર પાડશે.


પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણિયો તે જ વખતે સાધુબાવા પાસે ગયો, તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો.હે મહારાજ, તમે મારા અપરાધની ક્ષમા કરો, મોટા શોકથી ગળગળો થઈને તે વારંવાર મોટુ દુ:ખ પ્રાપ્ત કર્યુ છે. ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો.


સાધુ વાણિયો બોલ્યો, હે પ્રભુ ! બ્રહ્મા વગેરે ઘણા બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું, તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું ? હે ભગવાન આપ મારી પર પ્રસન્ન થાવ, હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારુ પૂજન કરીશ.


મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટુ બોલ્યો માટે હે પ્રભુ ! મારુ રક્ષણ કરવા આપ જ સમર્થ છો. એવું ભક્તિપૂર્વક સાધુ વાણિયાનું વચન સાંભળી.સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા. સાધુ વાણિયો પોતાની નાવ પાસેા આવી જુએ છે તો નાવ ધનથી ભરપૂર થયેલી તેણે જોઈ.


સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે. એમ કહી તેણે પોતાના સગાસંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પૂર્ણ થયો, ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો.પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણિયો પોતાના જમાઈને કહેવા લાગ્યો: જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનારા ખાસ દૂતને ઘેર સમાચાર આપવા મોકલ્યો.


ઘેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ, સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સંદેશો કહેવા લાગ્યો.પોતાના જમાઈ, કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરમાં આવી પહોંચેલ છે.દૂતના મુખમાંથી એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખુબ જ આનંદ પામી, તેણે  સત્યનારાયણ ભગવાનનું વ્રત તે જ વખતે પુજન કરી પોતાની પુત્રીને કહ્યું, તું સત્યનારાયણ ભગવાનનું પુજન કર.


હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલદી આવજે. માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી.પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહિ.


ઘણા શોકથી તે ડરવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાને હેવાલ જોઈને.સાધુ વાણિયો પણ વહાણની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુ:ખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો. આ શું આશ્ચર્ય છે ? ખલાસીઓ પણ ગભરાઈ ગયા.પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણાં જ દુ:ખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી.


હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા બંધ કેમ થયા ? હું સમજી શકતી નથી કે ક્યાં દેવનો અપરાધ થવાથી આ નાવ ડૂબી ગઈ છે ? સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે. એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનોની સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને.


પોતાના પતિની પાવડીઓ લઈ તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુ વાણિયો પત્ની સાથે.ખૂબ જ શોકથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોઈ વિચારવા લાગ્યો, ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યુ નહિ હોય ? તેમની માયાથી હું ભ્રમમાં રહ્યો છું. મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું હું વ્રત કરીશ આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ કહ્યો.


વારંવાર સત્યનારાય ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યો તેથી દીન દુ:ખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાના સંતુષ્ટ થયા.સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થયો છે એમાં સંદેહ નથી, માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે.


તો તેનો પતિ મળશે એમા લગાર શંકા નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ.કલાવતી જલદીથી પોતાને ઘેર જઈને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાનો પતિ નજરે પડ્યો.સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું હવે તમે ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો ? કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું.


પોતાના સગા સંબંધીઓ તથા ધન સાથે તે પોતાના ઘેર આવ્યો અને  જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ અને પુનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો.આને કારણે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્યલોકમાં ગયો.


આ પ્રમાણે સ્કંધપુરાણના રેવા ખંડનો સત્યનારાયણ વ્રતની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.



અધ્યાય ૫મો

રાજા તુંગધ્વજની કથા


સૂત બોલ્યા

હે મુનિવર ! હવે બીજી એક કથા હું કહું છુ, તે તમે સાંભળો, તુંગધ્વજ નામે એક રાજા હતો, તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો.તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રસાદ છાંડ્યો, આ દોષથી તે ઘણો જ દુ:ખ પામ્યો. એક વખતે તે વનમાં ગયો ત્યાં અનેક જાતનાં પશુઓનો શિકાર કરી.તે એક વડના ઝાડ પાસે આવ્યો. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતુ તે તેણે જોયું. ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતાં.


આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા. પૂજન પુરૂ થતા ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મુક્યો.ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો તેથી તે દુ:ખ પામ્યો.તેના સો પુત્રો ધન ધાન્ય બધુ જ નાશ પામ્યું હતું ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે.


હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો.ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિ પૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યલોકમાં ગયો.


અત્યંત દૂર્લભ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે.સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે, જે દરિદ્ર હોય છે તે ધન પામે છે, જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે.જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ સત્ય જ છે એમાં સંશય નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્યલોકમાં જાય છે.


હે બ્રાહ્મણો ! મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું, જે કરવાથી માણસ સઘળા દુ:ખોમાંથી છૂટી જાય છે.કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પુજા વિશેષ ફળ આપનારી છે. કેટલાંક તેમને કાલ કહે છે કેટલાક ઈશ્વર કહે છે.કેટલાક ‘‘ સત્યનારાયણ’’ કહે છે કોઈ ‘‘ સત્યદેવ’’ કહે છે, એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધરીને બધાને ઈચ્છિ વસ્તુઓ આપે છે.


ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જ સદા રહેશે, જે કોઈ આ કથાનો નિત્યપાઠ કરશે. તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે.હે મુનિશ્વરો, હું તમને પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ હતું તેમના પુનર્જન્મ કયા કયા થયા તે તમને કહું છું.મહા બુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો, તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો.


તુંગધ્વજ નામનો રાજા હતો, તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભુ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયો.


શ્રી સ્કંધપૂરાણના રેવાખંડનો આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત થયો.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.






Post a Comment

0 Comments